રાજકોટમાં મોબાઈલ વેપારીઓ પર GSTની કડક તપાસ
રાજકોટ શહેરમાં મોબાઈલના વેપાર ક્ષેત્રે GST વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. શહેરના વિવિધ મોબાઈલ વિક્રેતાઓને ત્યાં બીલ વગર મોબાઈલ વેચાણ થતું હોવાની માહિતીના આધારે વિભાગે અચાનક ચકાસણી શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટની યોગ્યતા તેમજ દુકાનોમાં રહેલા સ્ટોકની વિગતવાર મિલાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
GST વિભાગે વેચાણ સંબંધિત બિલો, ખાતાવહી અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા છે. માર્ચ એન્ડીંગ પહેલા ટેક્સ ચોરી અટકાવવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 24 કલાકથી વધુ સમયથી તપાસ ચાલુ હોવાથી વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૂત્રો અનુસાર, આ તપાસના પરિણામે મોબાઈલ વિક્રેતાઓ પાસેથી મોટી રકમમાં GST વસૂલાત થવાની શક્યતા છે. સાથે જ કરચોરી કરતા અન્ય વેપારીઓમાં પણ વિભાગની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.


