જામનગર : જામનગરના રેલ્વે સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા યુપીના એક યુવાનને પૈસા બાબતે માથાકુટ કરીને અસહય માર મારવામાં આવતા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો રેલ્વે પોલીસે ગુનો નોંધીને જામનગરના માજોઠીનગર વિસ્તારમાં રહેતા બે શખ્સોને ઝડપી લીધા છે.
અધીક પોલીસ મહાનિર્દેશક કે.એન. ડામોર તથા પોલીસ અધીક્ષક યશપાલ જગાણીયા પશ્ર્ચિમ રેલ્વે અમદાવાદએ યુનિટમાં નોંધાયેલ શરીર સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે રાજકોટ રેલ્વે એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સોર્સ તેમજ ખાનગી બાતમી આધારે જામનગર રેલ્વે પોલીસ સ્ટેશન હેઠળ બનતા ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન આપ્યુ હતું.
જેના આધારે જામનગર રેલ્વે પીઆઇ એસ.એમ. પાંચીયાની સુચનાથી હેડ કોન્સ હરપાલસિંહ તથા જયેશકુમાર સોલંકી, પો.કોન્સ અજયસિંહએ ખુન કેસનો ગુનો આચરેલ આરોપીઓને શોધી કાઢવા સોર્સ આધારે આ કામના આરોપી સલાઉદીન ઇન્દ્રીશભાઇ માજોઠી, રહે. માજોઠીનગર-૨, ગાંધીનગર જામનગર, તેમજ અકરમ ઇસાક જનર રહે. માજોઠીનગર-૧ હુશેની ચોક ગાંધીનગર જામનગરવાળાને પકડી પાડયા હતા.
આ અંગેની રેલ્વે પોલીસમાંથી મળેલી વધુ વિગત મુજબ ગત તા. ૧૯-૮-૨૬ રાત્રીના જામનગર રેલ્વે સ્ટેશન ખાતે બનાવ બન્યો હતો, જેમાં મરણજનાર ભુપેન્દ્ર વિનયપાલ પ્રજાપતી (ઉ.વ.૩૫) રહે. પૈગામપુર ગામ, જી. બુલંદ-યુપી નામના યુવાનને બે શખ્સોએ પૈસા બાબતે માથાકુટ કરીને માર માર્યો હતો જેમાં સારવાર દરમ્યાન યુપીના યુવાનનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જામનગર રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ૧૦૩(૧), ૧૧૮(૨), ૧૧૫(૨), ૫૪ મુજબ ફરીયાદ લઇને બંને શખ્સોને પકડી રીમાન્ડ પર લેવામાં આવ્યા છે.


