ભરૂચઃ ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ
ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 10 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મેટ્રોપોલિટન એક્ઝીમ કંપનીમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે જ જીઆઈપીસીબી, ઔદ્યોગિક સુરક્ષા તથા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દૂર-દૂર સુધી આગના ધુમાડાના ગોટા જોવા મળતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. આ કંપની સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અટકળો પર સરકારની સ્પષ્ટતા
ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની અટકળોને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે ભાવ વધારાના અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું છે કે સરકાર હાલમાં કોઈપણ પ્રકારના ભાવ વધારા પર વિચાર કરી રહી નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ આ પ્રકારના અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરવા અને નાગરિકોમાં ભય તથા ગભરાટ ફેલાવવાનો પ્રયાસ છે. છેલ્લા ચાર વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે.
સરકારના પ્રયાસોથી સતત ગેસ પૂરવઠો મળી રહ્યો છે: માંડવિયા
રાજ્યમાંથી શ્રમિકોના પલાયન અંગે કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે કે સરકારના પ્રયાસોથી સતત ગેસ પૂરવઠો ઉપલબ્ધ રહે છે. તેમણે જણાવ્યું કે દેશમાં ગેસ પુરવઠો, પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. માંડવિયાના કહેવા મુજબ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અન્ય દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે ભારતે પુરવઠા વ્યવસ્થાને સ્થિર રાખી છે.


