નવી દિલ્હી : શાહબાઝ સરકાર સામે મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને અન્ય અનેક ગંભીર સંકટનો સામનો કરવો એ સૌથી મોટો પડકાર છે. જોકે, પાકિસ્તાનની નવી ચૂંટાયેલી શાહબાઝ સરકારે આ બધું છોડીને હજુ પણ વારંવાર કાશ્મીરનો રાગ આલાપી રહી છે.
બીજી તરફ પાકિસ્તાન સરકાર ઈચ્છે છે કે ભારત સાથે તેના સંબંધો સુધરે. આ દરમિયાન પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ. આ માટે કોણ જવાબદાર છે?”
તેમણે પાકિસ્તાનની દુર્દશા માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા. જોકે, તેમણે એ લોકોના નામ લીધા ન હતા. તેમણે કહ્યું કે આ લોકોએ ચૂંટાયેલા અધિકારીઓને માત્ર કઠપૂતળી બનાવી દીધા છે. પડદા પાછળ કેટલીક શક્તિઓ છે જે આપણને નિયંત્રિત કરી રહી છે અને તેઓ નિર્ણયો લે છે જ્યારે આપણે માત્ર કઠપૂતળી છીએ. મૌલાના ફઝલુર રહેમાને વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર મહેલોમાં રચાય છે અને અમલદારો નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ હશે. ક્યાં સુધી આપણે સમજૂતી કરવાનું ચાલુ રાખીશું?
તેમણે 2018 અને 2024 બંને ચૂંટણીઓમાં ચૂંટણી ધાંધલીની ટીકા કરતાં પૂછ્યું કે “આ ગૃહ (સંસદ)માં બેસીને આપણો અંતરાત્મા કેવી રીતે શુદ્ધ થઈ શકે છે, કારણ કે હારેલા અને વિજેતા બંને સંતુષ્ટ નથી.” રહેમાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ને લોકશાહી અધિકારોના મહત્વ પર ભાર મૂકતા, જાહેર સભાઓ યોજવા દેવાની હિમાયત કરી હતી.