ડોક્ટરની ફી નક્કી કરવાની જવાબદારી રાજ્યોની, કોઈપણ કિંમતની મર્યાદા નક્કી કરવાથી આરોગ્ય સંભાળ અથવા દર્દીની સારવારની ગુણવત્તા સાથે ગંભીર ચેડા થવાની ભીતિ : સારવારના દરો નક્કી કરવાથી હોસ્પિટલોને આર્થિક રીતે અવ્યવહારુ બનાવવા જેવી ગંભીર પરિસ્થિતિઓમાં પરિણમી શકે : જાહેરહિતની અરજી પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો સુપ્રીમમાં જવાબ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કોઈપણ ડોક્ટર કે હોસ્પિટલની ફી નક્કી કરવાની જવાબદારી રાજ્યોની છે. મંત્રાલયે 37 પાનાના સોગંદનામામાં સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે પ્રાદેશિક પરિબળોના આધારે સારવારની માત્રા નક્કી કરવી જોઈએ. એક દર્દીએ કેટલું ચૂકવવું જોઈએ? આ હોસ્પિટલના પ્રકાર, શહેર અને ડોક્ટરના અનુભવ પર આધાર રાખે છે. મંત્રાલયે તો એમ પણ કહ્યું છે કે કોઈપણ ભાવ મર્યાદા નક્કી કરવાથી આરોગ્ય સંભાળ અથવા દર્દીની સારવારની ગુણવત્તા સાથે ગંભીર ચેડા થઈ શકે છે. સારવારના દરો નક્કી કરવાથી હોસ્પિટલોને આર્થિક રીતે અવ્યવહારુ બનાવવા જેવી ગંભીર પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે.
મધ્યપ્રદેશ અને ગુજરાતને ટાંકીને મંત્રાલયે કહ્યું કે માર્ચ મહિનામાં રાજ્યો સાથે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ બંને રાજ્યોએ કહ્યું હતું કે કોઈપણ દરની મર્યાદા નક્કી કરવાથી ગુણવત્તા સાથે ચેડા થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડે પણ તેને સમર્થન આપ્યું છે. જ્યારે પશ્ર્ચિમ બંગાળનું કહેવું છે કે તેની 95 ટકા વસ્તીને સસ્તી આરોગ્ય સેવાઓ મળી રહી છે. તેથી ત્યાં દરો નક્કી કરવાની જરૂર નથી. વાસ્તવમાં, વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઇફએ 2020માં પીઆઇએલ ફાઇલ કરી હતી અને દેશમાં સારવારના દરો નક્કી કરવા અપીલ કરી હતી. આ અંગે ગયા ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 2010 હેઠળ ખાનગી હોસ્પિટલોમાં સારવાર સેવાઓ માટે કિંમત મર્યાદા શા માટે નક્કી કરવામાં આવી નથી તેના જવાબમાં આરોગ્ય મંત્રાલયે આ
માહિતી આપી છે. હાલમાં સારવારના દરો નક્કી કરવા અંગે દાખલ કરવામાં આવેલી અરજી કોર્ટે સ્વીકારી છે. તેમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) અને એસોસિયેશન ઑફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઑફ ઈન્ડિયા(એએચપીઆઇ)નો પણ સમાવેશ થાય છે, જે ખાનગી હોસ્પિટલોની સંસ્થા છે.