મીત ચાંદવાણી (ઉ.20)એ અજવાણી બંધુઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
(આઝાદ સંદેશ),રાજકોટ: જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોરમાં ઉંધની દવા લેવા ગયેલ ત્રણ શખસોએ મારામારી કરી હતી. મેડીકલ સ્ટોરના કર્મચારીએ ઉંઘની દવા તબીબના લખાણ વગર ન મળે કહેતા ઢોર માર માર્યો હતો. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જેતપુરમાં જુના પાંચપીપળા રોડ પર ગુજરાતીની વાડીમાં શ્રી પાર્ક સોસાયટીમાં રહેતા મીતભાઇ હરેશભાઇ ચાંદવાણી (ઉ.20)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હુસેન અજવાણી, ઇમરાન અજવાણી અને એક અજાણ્યા શખસ (રહે.ત્રણેય ગોવિંદ્રામાં, જેતપુર)નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સાડા ચાર વર્ષથી જેતપુરમાં બોખલા દરવાજે આવેલ મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે. ગઇકાલે ત્રણેક વાગ્યા બાદ મેડીકલે હતો તયરે સાંજના આઠેક વાગ્યાની આસપાસ મેડીકલે અજાણ્યા ત્રણ શખસો આવેલ જેમાંથી હુસેન અજવાણી નામના શખસે તેને કહેલ કે, અમારે ઉંઘની દવા જોઇએ છે તો મને આપો તેમ વાત કરતા તેને કહેલ કે, ડોક્ટરનું લખાણ છે તો દવા આપીએ લખાણ વગર દવા આપતા નથી તેમ કહેતા હુસેન અજવાણીએ કહેતા તે ઉગ્ર બની ગયેલ અને ગાળો આપવા લાગેલ જેથી તેમને ગાળો આપવાની ના પાડતા ઉગ્ર બની ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને તેની સાથે આવેલ હુસેન અજવાણીનો ભાઇ ઇમરાન અજવાણી જે પણ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો તેમજ તેની સાથેનો અજાણ્યા શખસો તેને પકડી રાખી ત્રણેય ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. બાદમાં લોકો દોડી આવતા ત્રણેય શખસોએ તારે અમને ઉંઘના ટીકડા આપવા જ પડશે જો નહીં આપે તો તને મારીશું અને તું જીવતો રહીશ નહીં તેમ ધમકી આપી નાસી છુટયા હતા બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.