હરેશ ઉર્ફે રામો સોરઠીયાને તેના પિતા બાબુભાઇ અને મોટા ભાઇ હસમુખે મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમ વિધી પણ કરી નાખી : પોલીસે બંન્નેને સંકજામાં લઇ વધુ પુછપરછ હાથ ધરી
(આઝાદ સંદેશ),રાજકોટ: ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે પરિવારજનો સાથે વારંવાર ઝઘડો કરતા માનસિક અસ્થિર યુવકની તેના પિતા અને સગા ભાઇએ જ હત્યા કરી નાખી બારોબાર અંતિમ વિધી પતાવી લીધી હોય આ અંગે પોલીસને જાણ થતા બંન્ને પિતા-પુત્રને પોલીસે સંકજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોટી ખીલોરી ગામે રહેતા માનસિક અસ્થિર હરેશ ઉર્ફે રામો બાબુભાઇ સોરઠીયાનું અકાળે મોત થયું હોય અને માત્ર પરિવારજનોની હાજરી વચ્ચે જ તેની અંતિમ વિધી કરી નાખવામાં આવી હોય તે બાબત અંગે ગામના કેટલાક લોકોને શંકા ઉપજતા તેઓએ સુલતાનપુર પોલીસમાં જાણ કરી હતી. જેથી પીએસઆઇ આર.જે.જાડેજા તથા સ્ટાફે ગામના સરપંચ પરસોત્તમભાઇ ચોવટીયાની મદદ લઇ આ અંગે તપાસ કરતા માનસિક અસ્થિર યુવાન હરેશ ઉર્ફે રામો બાબુભાઇ સોરઠીયાને તેના પિતા બાબુભાઇ તથા ભાઇ હસમુખ બાબુભાઇ સોરઠીયાએ મોતને ઘાટ ઉતારી નાખ્યાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, મૃતક હરેશ ઉર્ફે રામો બાબુભાઇ સોરઠીયા માનસીક અસ્થિર હોય અને તેના ઘરના સભ્યો રોષ અવારનવાર ઝઘડો કરતો હતો. ગઇકાલે વહેલી સવારે 5-30 વાગ્યે મૃતક હરેશે ઉઠી પિતા બાબુભાઇ સાથે ઝઘડો કરતા ભાઇ હસમુખ વચ્ચે પડયો હતો અને મૃતક હરેશને ધકો મારતા તે નીચે પડી જતા પિતા બાબુભાઇએ બેલુ ઉપાડી માથામાં મારતા હરેશભાઇનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ હત્યા કરનાર પિતા બાબુભાઇ તથા પુત્ર હસમુખે પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતક હરેશની ગામ લોકો તથા ડોક્ટરોને જાણ કર્યા વગર બારોબાર અંતિમ વિધી કરી નાખી હતી. માનસિક અસ્થિર હરેશનું અચાનક મોત થતા ગ્રામ્યજનોને શંકા જતા પોલીસને જાણ કરતા ભાંડો ફુટયો હતો. આ અંગે ગામના સરપંચ પરસોત્તમભાઇ વલ્લભભાઇ ચોવટીયાની ફરિયાદ પરથી સુલતાનપુર પોલીસે આરોપી પિતા તથા ભાઇ સામે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરના બંન્ને પિતા પુત્રને સંકજામાં લઇ પીએસઆઇ આર.જે.જાડેજાએ વધુ પુછતાછ હાથ ધરી છે.