નવી દિલ્હી : આરબીઆઇની 51મી MPC બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ (રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બેંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ ગવર્નરે 7મી ઓક્ટોબરથી શરૂ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઓફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પુરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
આરબીઆઈ દ્વારા રેપોરેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઈમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય.
આરબીઆઇએ સતત 10મી વખત વ્યાજ દરો યથાવત રાખ્યા, ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત
