જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર થયું છે. સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સાંજે આતંકીઓનું એક જૂથ એલઓસી પાર કરીને ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કાલે એટલે કે ગુરુવારે સાંજે આતંકીઓનું એક ગ્રુપ એલઓસી પાર કરીને ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહ્યું હતું. પરંતુ સુરક્ષા દળોએ સરહદ પારથી આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દીધી હતી અને ત્રણેય આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
વાસ્તવમાં પૂંછમાં એલઓસી પર ઉભેલા ખડમાલ વિસ્તારમાં તૈનાત સેનાના જવાનોએ થોડી હલચલ જોઈ. ઘૂસણખોરીની શક્યતાને સમજીને સૈનિકોએ આસપાસની સુરક્ષા ચોકીઓને એલર્ટ કરી દીધી હતી અને જેવા આતંકીઓ દેખાયા કે તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે અને હજુ પણ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ફાયરિંગ
આ પહેલા 24 જાન્યુઆરીની રાત્રે કઠુઆમાં ફાયરિંગ થયું હતું. કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા બાદ અડધી રાત્રે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૈનિકોએ સવારે લગભગ 1.30 વાગ્યે શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ પર ધ્યાન આપ્યું હતું, ત્યારબાદ સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. લગભગ અડધા કલાક સુધી બંને તરફથી વચ્ચે-વચ્ચે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ ફાયરિંગમાં કોઇ જાનહાનિના સમાચાર નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન બાદ ત્રણ આતંકવાદીઓ નજીકના જંગલ તરફ ભાગી ગયા હતા.
JKમાં લગભગ 25 સ્થળોએ દરોડા
છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસ અને સેનાએ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ અને તેમના પરિવારોના લગભગ 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન ટીમે ઘણા મહત્વના દસ્તાવેજો અને વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરી હતી. રાજૌરી, નૌશેરા, થાના મંડી, ધાર હોલ, કોટરંકા, બુધાલ, માંજાકોટ અને ચિંગાસ સહિતના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.