વિદેશી રોકાણકારોએ ભારતીય શેરો પર વિશ્વાસ દર્શાવ્યો છે. સતત 14 ટ્રેડિંગ સેશનમાં ભારતીય ઇક્વિટીમાં કુલ 43,940 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન નિફ્ટી 50 અને સેન્સેક્સ બન્નેએ 9 ટકાથી વધુનો ઉછાળો નોંધાવતાં આઉટપરફોર્મ કર્યું છે.
પહેલગામ હુમલાના 15 દિવસ બાદ જ ભારતે પાકિસ્તાનમાં આતંકીઓથી બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા ચોક્કસ જવાબી હવાઈ હુમલા બાદ પણ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સતત 14માં સત્રમાં ખરીદી ચાલુ. જેના કારણે ભારતીય શેર બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.
43,940 કરોડનું રોકાણ
એફપીઆઇએ એપ્રિલના બીજા સપ્તાહમાં ભારતીય શેરબજાર તરફનું વલણ બદલ્યું હતું અને મે મહિનામાં પણ તેમની ખરીદી ચાલુ રાખી હતી. આ સમય દરમિયાન નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 9 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં વિદેશી રોકાણકારો દ્વારા આ સૌથી લાંબી ખરીદી છે.
એફઆઈઆઈ શા માટે ભારતીય શેર ખરીદી રહી છે?
સપ્ટેમ્બરમાં બીએસઈ અને સેન્સેક્સ બંને એ વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટાભાગે વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો મોટા ભાગના સમકક્ષ દેશો કરતાં ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થા વૈશ્વિક વેપારની મંદીનો વધુ સારી રીતે સામનો કરશે તેવા વધતા આશાવાદ વચ્ચે પુનરાગમન કરી રહ્યા છે.
એશિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર
આ ઉપરાંત એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે ભારત અમેરિકા સાથે વેપાર કરાર કરનાર પ્રથમ દેશોમાં સામેલ થઈ શકે છે. આને કારણે રોકાણકારો એશિયાના ચોથા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર અંગે તેમના વલણનું પુનઃમૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહિત થયા છે. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચાલુ વેપાર વાટાઘાટો અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો, જે સૂચવે છે કે બંને દેશો ટેરિફ કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે.
એફપીઆઈનો પ્રવાહ હવે સ્થાનિક ખરીદીમાં જોડાયો છે. ભારતીય શેરબજારમાં મોટા ભાગનું નુકસાન રિકવર થઈ ચૂક્યું છે અને તે ચાર મહિનાની ઊંચી સપાટીની નજીક કારોબાર કરી રહ્યું છે. આરબીઆઈએ રેપો રેટમાં બે વાર ઘટાડો કર્યો છે અને ધિરાણને વેગ આપવા માટે અબજો રૂપિયા નાણાકીય પ્રણાલીમાં દાખલ કર્યા છે.